AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

મહેમદાવાદનું આહુખાના

મહેમદાવાદનું ખરું નામ મહમૂદાબાદ. અમદાવાદના સુલતાન મહમૂદ બેગડાએ, વાત્રક નદીના કાંઠાની હવા પસંદ આવવાથી, ત્યાં પોતાના નામથી એ શહેર વસાવેલું. મહેમદાવાદ આજે તો એક નાનું ગામ છે, પણ બાદશાહીના સમયમાં એની શોભા અનેરી હતી.

મહમૂદ બેગડો ઇ.સ.૧૪૫૮ની ૨૫ મે, રવિવારના રોજ ગુજરાતનો સુલતાન બનેલ. તેનો પુત્ર શાહજાદો ખલીલખાં બીજા મુઝફ્ફરશાહ તરીકે પિતાના અવસાન બાદ ઇ.સ.૧૫૧૧ના નવેમ્બર માસમાં ગુજરાતનો સુલ્તાન બન્યો. તેના પછી તેનો પુત્ર સિકંદર, અને તેના બાદ બહાદુરશાહ સુલતાન થયા. બહાદુરશાહના અવસાન બાદ તેનો ભત્રીજો મહમૂદ ત્રીજાનું નામ ધારણ કરી બાળવયમાં જ ગાદીએ આવ્યો. મહમૂદ બેગડાએ મહમૂદાબાદ વસાવ્યું ખરું પણ એની ખરી આબાદી એના પ્રપૌત્ર સુલતાન મહમૂદ ત્રીજાના સમયમાં વધી.

સુલતાન મહમૂદ ત્રીજો એ મોજીલો સુલતાન હતો. એણે બનાવેલ મહેમદાવાદ ખાતેનું બાદશાહી મૃગોપવન-આહુખાના એના રસ, ચારિત્ર્ય, શોખ અને સ્વભાવનો ઉત્તમ નમૂનો છે. મિરાતે સિકંદરી અને ‘તબકાતે અકબરી’ નામના ઇતિહાસ ગ્રંથોમાં તેના લેખકોએ આ આહુખાનાનાં વર્ણન આપ્યાં છે.

‘મિરાતે સિકંદરી’માં લેખક સિકંદર બિન મેગુએ લખ્યું છે કે, સુલતાન મહમૂદ ત્રીજો એના ઉમરાવોની સત્તામાંથી જ્યારે છૂટો થઇ સ્વતંત્ર થયો ત્યારે એણે મોજમજામાં સમય ગાળવા માંડ્યો. અમદાવાદથી મહેમદાવાદ આવી ત્યાં મોટી ઇમારતો બાંધી મોટો બાગ બનાવ્યો. એનો વિસ્તાર લંબાઇમાં બે ફરસંગ (છ માઇલ) અને પહોળાઇ લશ્કર સહેલાઇથી લડી શકે એવડી ત્રણ માઇલ હતી. એનું નામ આહુખાના રાખ્યું. કોઇ કોઇ ગ્રંથ એને મેદાને અસ્પ તાખ્તન(ઘોડા દોડાવવાની જગ્યા) પણ કહે છે. આ મેદાનમાં અનેક ઝાડો રોપાવ્યાં, અને એને ચારે ખૂણે ચાર મોટી ઇમારતો બંધાવી. એણીની દિવાલો અને છતના ભાગ ઉપર સોનાનો ઢોળ ચઢાવેલો હતો. આ દરેક મહેલના દરવાજા આગળ એક રસ્તો બનાવેલો હતો, ને રસ્તાની બંને બાજુએ દુકાનો બનાવી હતી. દરેક દુકાન પર એક છોકરી બેસતી હતી, અને એમાં મોજશોખની બધી વસ્તુઓ, ખુશનુમા પીણાં, મધુર મેવા, સુગંધી ચીજો વગેરે મળતું. આ મકાનોની આસપાસ સુંદર બગીચા કર્યા હતા અને વહેતા ઝરા બનાવી એને લીલા રાખવામાં આવતા હતા. આ ઉપવનના ઝાડના થડને મખમલ તથા કીનખાબથી વીંટેલી રખાતી હતી. આવા સુશોભીત બાગમાં સુલતાન મૃગલોચની સ્ત્રીઓ સાથે ફરતો. આ ઉપવનને કોટ પણ હતો.

વડોદરાના પ્રાચ્યવિદ્યા ભવનના વડા ડૉ.હરમાન ગટઝ્એ ગુજરાત સંશોધન મંડળ, મુંબઇના ત્રૈમાસિકમાં આ આહુખાનાની વિગતો વર્ણવી છે જ્યારે જાણીતા ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ જોટેએ ‘કુમાર માસિકના નવેમ્બર, ૧૯૫૩ના અંકમાં ગુજરાતનું એક બાદશાહી મૃગોપવનઃ આહુખાના નામે લેખ લખેલ છે. આ બધાં વર્ણનો આપણને આ બાદશાહના રસનો પરિચય કરાવે છે. કેટલાકે મહેમદાવાદના આહુખાનાને ધારના આહુખાનાની નકલ પણ ગણાવી છે. આપણા ઇતિહાસની ઘણી પ્રસિધ્ધ વ્યક્તિઓએ આ આહુખાનાની મુલાકાત અને આખા હિંદમાં અજોડ સૌંદર્યધામ જોવાનો આનંદ માણેલો. એ આહુખાનાના વિશાળ મહેલમાં અમદાવાદથી સુરત જતાં અકબર બાદશાહે પણ ઇ.સ. ૧૫૭૩માં એક રાત ગાળેલી.

આ આહુખાના-ઉપવનમાં મૃગો લાવીને છુટા મૂક્યા હતા તેથી તે નામ પડ્યું હોય. તે સાથે એમાં મૃગલોની સ્ત્રીઓને લાવીને વસાવી હતી તેથી પણ તેનું નામ પડ્યું હોય. રાજધાની મહેમદાવાદ લાવ્યા બાદ સુલતા મહમૂદ ત્રીજો આ ઉપવનમાં ઉત્સવો યોજતો ને શિકારો કરતો. એમાં બનાવેલાં બજારોમાં દુકાનદાર તરીકે સ્ત્રીઓ બેસતી. એમાંથી અનેક મોજમજાની ચીજો એ અને એના મિત્રો ખરીદતા. આ વર્તનને લીધે સુલતાન સામે વિરોધ જાગતો ગયો. બુરહાન નામના એક હલકા માણસની સોબત સુલતાને કરેલી એનો પણ ખૂબ વિરોધ થયો. બુરહાને ધર્મ અને નીતિની મર્યાદા ખુલ્લી રીતે છોડીને ખરાબ મોજમાં પ્રવૃત્ત થયેલો સુલતાને જાતે જોયો ત્યારે એને સખ્ત સજા પણ કરી અને માફી પણ આપી. બીજી વખત એવો ગુનો જોઇ એને ફરી સજા ફરમાવી, પરંતુ એનો અસલ થતા પહેલાં એ જ આહુખાનાના મહેલમાં બુરહાને સુલતાન મહેમુદને કેફ આપી પછી મારી નાખ્યો. ઇ.સ.૧૫૫૪માં આ મૃગોપવન બાંધનાર મોજીલો સુલતાન એ જ ઉપવનના મહેલમાં અવસાન પામ્યો. એને ત્યાંથી લાવીને એના પ્રપિતામહ મહમૂદ બેગડા અને દાદા મુઝફ્ફર બીજાની કબરની બાજુમાં દફનાવવામાં આવ્યો.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com