મહંમદ બેગડો (ઇ.સ. ૧૪૪૫
– ઇ.સ.૧૫૧૧)
સુલતાન મોહમ્મદશાહ બીજાનો ફત્હખાનનો જન્મ ઇ.સ. ૧૪૪૫ના રમઝાન મહિનામાં થયો હતો. તેની
માતાનું નામ મુગલી બીબી હતું. મુગલી બીબી સિંધના જામ ફિરોઝની પુત્રી હતી.
એમ કહેવાય છે કે, જામ ફિરોઝની બે પુત્રીઓ
–મુગલી અને
મિરકી- માંથી મુગલીનું સગપણ સૂફી હજરત શેખ શાહઆલમ સાથે અને મિરકીનું સુલતાન
મોહમ્મદશાહ બીજા સાથે કરવાનું નક્કી કરીને સિંધથી અમીરોને જામ ફિરોઝે ગુજરાત
મોકલ્યા હતા. આ બંને બહેનોમાં મુગલી ખુબજ રૂપાળી હતી. આથી સુલતાન મોહમ્મદશાહે
અમીરોને સમજાવીને જામના નિર્ણયમાં ફેરફાર કરાવ્યો ને તેણે મુગલી બીબી સાથે લગ્ન
કર્યુ. હજરત શેખના જાણમાં આ વાત આવતાં તેમણે તેમના પિતા વટવાના મશહુર સૂફી હજરત
બુરહાનુદ્દીન કુત્બેઆલમ પાસે જઇ ફરિયાદ કરી. પિતાએ જવાબ વાળ્યો, ફિકર કરીશ નહીં
બંને તારા નશીબમાં છે.
બન્યું પણ એવું જ. ફત્હખાનના પિતા સુલતાન મોહમ્મદશાહ બીજાનું અવસાન થયું ત્યારે
ફત્હખાનની વય માત્ર સવા પાંચ વર્ષની હતી. તેના સાવકા ભાઇ કુત્બુદી્ન અહમદશાહ બીજાનો
ખરાબ સ્વભાવ જોઇ તેની માતા મુગલી બીબી પોતાની બહેન મિરકી બીબીના ઘેર ચાલી ગઇ હતી
અને બનેવી મહાન સૂફી હજરત શાહઆલમની હિમાયતમાં જીવન ગાળવા લાગી હતી. સુલતાન
કુત્બુદી્ન તરફથી ફતેહખાનને કદાચ ઝેર આપવામાં આવે કે તેની કત્લ કરવામાં આવે એવો ભય
હંમેશાં તેના દિલમાં રહેતો હતો. તેની બહેન મિરકી બીબી હયાત હતી ત્યાં સુધી તેણે પણ
ફત્હખાનના ઉછેરમાં સહાય કરી હતી. તેનું અવસાન થયા પછી પણ બાળક ફત્હખાનના રક્ષણ માટે
તેણે હજરત શેખ આલમ સાથે શાદી કરીને તેમની સાથે રહેવાનું પસંદ કર્યું.
ફત્હખાને હજરત શેખઆલમની દેખરેખ નીચે જ્ઞાન વિદ્યા સારા પ્રમાણમાં પ્રાપ્ત કર્યાં
અને મહાન આલેમફાજેલ લોકો અને મૌલવીઓ અને મૌલાનાઓના સંપર્કમાં તે રહ્યો. આથી જ તે
સુલતાન મહમ્મદ બન્યો ત્યારે પણ આલમફાજેલ અને દીની લોકોની મજલસ કરતો અને તેમની સાથે
મજહબ હદીસ, ફિલસુફી વગેરે વિષયો ઉપર ચર્ચાઓ કરતો. તેણે દરેક પ્રકારના જ્ઞાન
વિજ્ઞાનનો પ્રચાર કરાવ્યો હતો અને તેને લઈને તેના શાસન દરમિયાન અનેક મદ્રેસાઓ
સ્થપાઇ હતી. એમાં દીની વિષયો શિખવાતા હતા. તેણે તરજુમા કરાવવા માટે એક ખાતું
ખોલ્યું હતું, જેમાં અરબી ગ્રંથોને ફારસીમાં ઉતારવામાં આવતા હતા. ગુજરાતના ઇતિહાસના
અનેક ગ્રંથોને તેણે પોતાના નામે
ફારસીમાં લખાવ્યા હતા. તેના સમયમાં ઉલેમાઓ મોટી સંખ્યામાં મજહબના પ્રચાર અર્થે
ગુજરાતમાં આવ્યા હતા, અને પરિણામે સૌરાષ્ટ્રમાં ઇસ્લામને કાયમ માટે સ્થાન મળ્યું
હતું.
તેના મોટાભાઇ સુલતાન કુત્બુદી્ન અહમદશાહનું મૃત્યુ ઝેર આપવાથી થયું હતું. તેથી તેને
ભોગવવાનું ન આવે તેમ સાવચેતી રુપે તેને બાળવયથી ઘણું કરીને એક પ્રકારના ઝેરનું સેવન
કરવાની તેને ટેવ પાડવામાં આવી હતી. આથી એમ કહેવાય છે કે તેના શરીર ઉપર માખી બેસતી
તો તે મરી જતી. એની ભૂખ અસીમ હતી. સવારે નાસ્તામાં તે સોથી દોઢસો જેંટલાં કેળાં
ખાતો હતો અને એક પ્યાલો ઘી અને એક પ્યાલો મધ પીતો હતો. તેના દૈનિક ભોજનનું વજન
ગુજરાતી તોલ મુજબ એક મણ જેટલું હતું. તે વારંવાર કહેતો કે અલ્લાહે તેને સુલતાન ન
બનાવ્યો હોત તો તેની ભૂખને કોણ તૃપ્ત કરી શક્યું હોત
?
તે એ જ પ્રમાણમાં શક્તિશાળી પણ હતો. પોતાની તાકાતથી તે મસ્ત હાથીને ભગાડી શકતો.
મહમ્મદશાહ
‘બેગડો’
કેમ કહેવાયા તે અંગે વિવિધ તર્ક પ્રાપ્ત થાય છે. એક લોકવાયકા મુજબ, સુલતાન
મહમ્મદશાહ બેગડાની માતા મુગલી બીબી તેના પિતાના અવસાન પછી સૂફી હજરત શાહઆલમની
ખાનકાહમાં રહેવા ગઇ હતી. તે પછી તેની માસી મિરકી બીબી ગુજરી ગઇ, ત્યારે તેની મા
મુગલી બીબીએ બનેવી હજરતશાહ જોડે શાદી કરી લીધી. તે વાત યુવાન ફત્હખાનને પસંદ નહીં
પડેલી. તેથી તે તેના ઉપર વારંવાર ગુસ્સે થયા કરતો હતો. જ્યારે ફત્હખાન ગુસ્સે થાય
ત્યારે, ત્યારે હજરત શાહ આલમ કહેતા
‘મહેમુદ બિગડા’.
ત્યારથી નામ પડ્યું ‘બેગડા’.
ભાષાકીય રીતે જોઇએ તો ‘બેગડા’
શબ્દનો અર્થ ગુજરાતી ભાષામાં ‘વાંકડી મુછો’
એવો થાય છે.કહેવાય છે કે ગુજરાતી ભાષામાં બે હાથ પહોળા કરીને જે આકાર થાય છે એવા
મોટા પહોળા અને અને વાંકડીયા શિંગડાવાળા બળદ ને
‘બેગડો’
કહેવાય છે.સુલતાનની મૂછો મોટી અને એવા પ્રકારની હતી. તેથી
તેને‘બેગડો‘કહેતા
હશે.રાજકીય રીતે વિચારીએ તો તેણે ગિરનાર અને ચાંપાનેરના હિંદુ રાજાઓને હરાવ્યા હતા
અને તે બંને રાજ્યો તેના પોતાના શાસન હેઠળ લઇ લીધા હતાં. એ બંને શહેરોને ગઢ હતા,
તેથી બે ગઢનો વિજેતા બેગડો નામથી ઓળખાવા લાગ્યો હોય પરંતુ કેટલાક ઇતિહાસકારો એમ પણ
કહે છે કે સુલતાન મહમદશાહ ઘણા વિચક્ષણ પ્રકારનો માણસ હતો. તે તેના વ્યકિતત્વ અને
રીતભાત માટે છેક યુરોપ સુધી જાણીતો થયો હતો. તેની મૂછ એવી તે લાંબી હતી કે તેના બે
છેડા તે માથા પર બાંધતો હતો અને તેથી તે બેગડો નામથી ઓળખાતો હતો.
સુલતાન કુત્બુદી્નના અવસાન બાદ તેના કાકા દાઉદખાનને ઇ.સ. ૧૪૫૮માં અમીરોએ તખતનશીન
કરાયો પણ સતાવીસ દિવસમાં જ તેને ઉથલાવી આ અમીરોએ સુલ્તાન કુત્બુદી્નના સાવકા ભાઇ
ફત્હખાનને તખ્તનશીન કર્યો. તે વખતે તેની ઉંમર ૧૩ વર્ષ, ૨ માસ, ત્રણ દિવસની હતી.
ફત્હખાનને તખ્તનશીન થતાં
નાસીરુદદુનિયાવદદ્દીન અબ્દુલફત્હ મહમદશાહનો ખિતાબ અપાયો. સુલતાન મહમદશાહ રાજકીય
આટીંઘુંટીઓથી અપરિચિત હતો, પણ મક્કમ નિર્ણયવાળો હતો. તેના તખ્તનશીન થવાના ચાર
માસમાં અમીરોએ કાવત્રું કર્યુ તેને તેણે સખત હાથે દબાવી દીધું. ત્યાર બાદ
રાજ્યવહીવટમાં પાછું વાળી જોયું નથી. માળવા, પારડી, ગિરનાર,દ્રારકા,કચ્છ, ચાંપાનેર
અને દરિયાઇ યુધ્ધમાં વિજય મેળવી તે સાચે જ ગુજરાત આખાનો સુલતાન બની રહ્યો. સુલતાન
મહમદશાહે લગભગ અડધી સદી સુધી નિર્વિઘ્ને રાજ્ય ચલાવ્યું અને ગુજરાત સલ્તનતની આબાદીએ
એ દરમિયાન એકધારી પ્રગતી કરી.
યુધ્ધ અને રાજખટપટમાંથી નવરાશ મળે મહમદ બેગડો શિકારે જતો. કહેવાય છે કે શિયાળો તે
મુસ્તફાબાદમાં ગાળતો. શિયાળો ખતમ થતાં તે અમદાવાદમાં આવીને રહેતો. અને આખી મોસમ મહી
નદીના કાંઠે જઇ ગાળતો. ગરમીની મોસમમાં તે આબોહવા તેને માફક રહેતી અને ત્યાં શિકાર
પણ સારા પ્રમાણમાં મળી રહેતો હતો. વળી પહાડી પ્રદેશોમાં ભીલો અને કોળીઓનો વસવાટ
હતો. તેથી તે પ્રદેશ ભય ભરેલો હતો અને ત્યાં ડાકૂઓનો ત્રાસ હતો. ત્યાં મુસાફરો માટે
સહીસલામતી ન હતી. તે પ્રદેશમાં મુકામ કરવામાં સુલતાનનું મુખ્ય ધ્યેય તો ચાંપાનેરના
રાજાને લૂંટફાટ કરતાં રોકવાનું હતું. ગિરનારની પેઠે ચાંપાનેરનો કિલ્લો પણ અજેય
ગણાતો હતો. અને તેના પર કોઇ સુલતાન કબ્જો જમાવી શક્યો ન હતો. એ સમય દરમિયાન એક દિવસ
શિકાર ખેલતાં વાત્રક નદીના કિનારે એક સ્થળ પર તે પહોંચ્યો. જે અમદાવાદથી ૧૨ કોસ ઉપર
અગ્નિ ખુણામાં આવેલું હતું. એ સ્થળ તેને ઘણું પસંદ પડ્યું તેથી ત્યાં તેણે એક શહેર
બનાવવાનું ફરમાન બહાર પાડ્યું, ઇ.સ. ૧૪૭૯માં તેનુ નામ મહેમુદાબાદ રાખ્યું. અમીરોએ
ત્યાં આલીશાન મકાનો બંધાવડાવ્યાં અને બાગો તૈયાર કરાવડાવ્યા. નદીના કાઠાં ઉપર
પથ્થરની એક મજબૂત દિવાલ ચણાવી અને તેને અડીને એક ખાસ મહેલ બંધાવ્યો. ઇતિહાસકારો લખે
છે કે, મહેમુદ બેગડો શિયાળો મુસ્તફાબાદમાં, ઉનાળો મહીં કાઠે અને ચોમાસું અમદાવાદમાં
ગાળતો. તે બાંધકામની જેમ પર્યાવરણ પ્રેમી પણ હતો. બગીચાનો
શોખ હોવાથી તેણે અનેક બગીચા પણ બનાવડાવેલા. તે વૃક્ષોનો ઘણો શોખીન હતો.
અણહિલવાડ પાટણથી વડોદરા સુધી રસ્તાની બંને બાજુએ તેણે આંબા અને રાયણનાં વૃક્ષો
રોપાવ્યા હતા.
મુસલમાનોએ લખેલા ઇતિહાસમાં ગુજરાતના સુલતાનોમાં સુલતાન મહમદશાહની ગણતરી સૌથી મશહૂર,
સૌથી મહાન અને સૌથી વિશેષ લોકપ્રિય તરીકે કરવામાં આવેલી છે. જોધપુર, દિલ્હી, બંગાળા
અને કાશ્મિર ઉપરાંત ઇરાન, રોમ, મિસર અને યુરોપથી પણ તેના દરબારમાં એલચીઓ ભેટો સાથે
આવતા. તેનો અને તેના શાહજાદા સુલતાન મુઝફરશાહ બીજાનો રાજ્ય અમલ ગુજરાતની ઇસ્લામી
સલ્તનતનો સુવર્ણયુગ હતો.
સુલતાન મહેમદશાહ બેગડાએ અગાઉથી પોતાના શાહજાદા ખલીલખાનને પોતાનો વલી અહદ (રાજવારસ)
નીમી રાખેલો હતો. અને તેનું પોતાનું મૃત્યુ નજીક આવતું જણાતાં ઇ.સ. ૧૫૧૧માં તેને
પોતાની પાસે બોલાવી લીધો. તે પછી ૨૩ નવેમ્બર,૧૫૧૧ના રોજ
રમજાનના પવિત્ર માસમાં તેનું અવસાન થયું. તેણે હજરત શેખ એહમદ ખટ્ટુના રોજાના
કમ્પાઉન્ડને લગોલગ તેની દફનક્રિયા માટે એક ગુંબજ તૈયાર કરાવી રાખ્યો હતો. તેની નીચે
હજરત શેખના પગ તરફ પોતાની કબરનું સ્થાન પણ નક્કી કરી રાખ્યું હતું, ત્યાં તેને
દફનાવવામાં આવ્યો.
મહમ્મદ બેગડો ગાદીએ આવ્યા પછી બળવાખોર
અમીરોને સખત સજા કરી આથી પ્રજામાં તેની કીર્તિ વધી. તેણે
બહમની સુલતાનને મદદ કરવાના
બહાના હેઠળ માળવાના સુલતાનને હરાવ્યો.
વલસાડ નજીકના કિલ્લાપારડીનો રાજવી ચાંચીયાગીરી કરે છે તેવી ખબર પડતાં તેને સખ્ત સજા
કરી. ઇ.સ. ૧૪૬૯માં જૂનાગઢના કિલ્લાને જીતીને ત્યાંના રાજા માંડલીકને ઇસ્લામ
ધર્મ પાળવાની ફરજ પાડી બાદશાહે જૂનાગઢમાં મુસ્લિમ સત્તાની સ્થાપના કરી ત્યાં
નવું નગર મુક્તફાબાદ વસાવ્યું. આ પછી ઇ.સ. ૧૪૭૨માં તેણે દ્વારકા પર આક્રમણ કર્યુ.
ત્યાંના રાજા વાઢેર ભીમજીને હરાવી દ્વારકાના રણછોડરાય મંદિરનો નાશ કર્યો. ત્યાર બાદ
ઘોઘા અને આસપાસના ચાંચિયાઓને હરાવીને તેણે સોરાષ્ટ્રના સાગર કિનારાને ભય મુક્ત
કર્યો. રાજ્યનો વેપાર વધાર્યો. આ પછી તેણે સૌરાષ્ટ્રના ઝાલોર, ઝાલાવાડ, સોનગીર,
રાણપૂર વગેરે પ્રદેશોમાં પોતાની સત્તા સ્થાપી. સોરાષ્ટ્રમાં
પોતાની સત્તા વિસ્તાર્યા બાદ ચાંપાનેરના પતાઇ રાવળ પર આક્રમણ કર્યુ, ઇ.સ.
૧૪૮૩માં ચાંપાનેરના રાજવીએ માળવાના સુલતાનની મદદ માગી, પણ તે તેને ન મળી. અંતે
સુલતાન મહમ્મદશાહના સૈન્ય સામે તે ટકી શક્યો નહીં. તે હાર્યો અને કેદ પકડાયો. તેણે
ઇસ્લામનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરતાં તેનો વધ કરવામાં આવ્યો. પતાઇ રાવળના કુંવરને
બળજબરીથી મુસ્લિમ બનાવીને તેનું નામ મલેક હુસેન રાખ્યું. ચાંપાનેરને
‘મુહમ્મદાબાદ’
નામ આપી તેને ગુજરાતની રાજધાની બનાવી.
આ નગર લગભગ પચાસ વર્ષ સુધી ગુજરાતનું પાટનગર રહ્યું. ચાંપાનેરની જીત પછી સુલતાન
બેગડાએ બહમનીના સુલતાનને હરાવ્યો. આ વખતે ફિરંગીઓ દીવ ઉપર કબ્જો મેળવવા માગતા હતા.
તેને અટકાવી સાગર કિનારાને ભયમુક્ત કર્યો. ખાનદેશ ઉપર ગુજરાતનું વર્ચસ્વ સ્થપાયું
આમ સુલતાન મહેમુદ બેગડાએ પોતાના અમલ દરમિયાન રાજ્યની હદ વિસ્તારી અનેક રાજવીઓને
પોતાના ખંડિયા રાજાઓ બનાવ્યા. ત્યાં પોતાના સુલતાનોની નિમણુંક કરી.
મહમ્મદ બેગડો એક ન્યાય પ્રિય રાજવી હતો.
‘મિરાતે અહમદી’ માં તેની ન્યાય પ્રિયતાનો એક
કિસ્સો આપવામાં આવ્યો છે. બહાઉદી્ન નામના એક અમલદારે એક માણસનું
ખૂન કરી પોતાની સત્તાના આધારે છોડાવી દેશે એમ જણાવી બીજા માણસ ઉપર
ખૂનનો આરોપ ઢોળી દીધો. તે
અમલદાર તેને છોડાવામાં નિષ્ફળ જતાં તેને
ફાંસી થઇ. બાદશાહે પાછળથી સત્યની જાણ
થતાં મૂળ ગુન્હેગારને પકડી ફાંસીએ લટકાવ્યો. તેના રાજ્યમાં હિન્દુ મુસલમાન
સૌના માટે એક જ ન્યાય હતો. તેણે પોતાના લશ્કરને વ્યવસ્થિત કરી સંતોષ સ્થાપેલો. મૃત
પામેલા સૈનિકોના કુટુંબીજનોને જાતે મળી આશ્વાસન આપતો. વેપારને વ્યવસ્થિત કરવા તેણે
રાજ્ય માર્ગોને ભયમુક્ત કર્યા. રાજ્યની ટંકશાળાઓને વ્યવસ્થિત કરી. સોના, ચાંદી,
તાંબુ અને મિશ્ર ધાતુઓના સિક્કા પાડી નાણાંતંત્રને વ્યવસ્થિત કર્યું તેના
મિશ્રધાતુના સિક્કા મહમદી સિક્કા તરીકે ઓળખાય છે. તેના અમલ બાદ પણ
આ સિક્કા ગુજરાતમાં ઘણા લાંબા સમય સુધી પ્રચલીત રહ્યા હતા. રાજ્યની મહેસુલની
આવક વ્યવસ્થિત કરવા જમીનની જાત પ્રમાણે મહેસૂલ નક્કી કર્યું અનેક સ્થળે
ધર્મશાળાઓ અને મસ્જિદો બંધાવી. રાજ્યમાં શાંતિ સ્થપી.
સુલતાન મહમૂદશાહના સમયમાં મુસ્લિમ સ્થાપત્યનો સારો વિકાસ થયો. તેના સમયમાં
બાંધકામોમાં સરખેજનો રોજો, શાહઆલમનો રોજો, દરિયાખાનનો ઘુમ્મટ, રાણી રૂપમતિની મસ્જિદ
(મીરજાપૂર), બીબી અયુતફકીની મસ્જિદ (દૂધેશ્વર), મલિક અલિમની મસ્જિદ, સૈયદ ઉસ્માનની
મસ્જિદ, (ઉસ્માનપુરા), મુહફિઝ ખાનની મસ્જિદ, (ઘીકાટા), રેલ્વે સ્ટેશન નજીકના
મિનારા, વગેરે ગણી શકાય. ગુજરાતમાં સોલંકીકાલના અંત પછી સુલતાન મહેમુદશાહના સમયમાં
વાવોનું સર્જન થયું. આ સમયની વાવોમાં દાદા હરિહરની વાવ, અડાલજની વાવ વગેરે
સ્થાપત્યની દષ્ટિએ અદભૂત અને અદ્વિતીય છે.
મહમદ બેગડાના સમયમાં રાજ્યની આબાદી વધારવામાં શાહઆલમસાહેબ,મલિક દાવર, મલિક આવાઝ,
મલિક સારંગ, દરિયાખાન, મલિક ગોપી, મલિક અલીમ, મલિક કાલુ, મલિક ઇસન, તાજખાન સાલાર
વગેરેએ નોંધપાત્ર ભાગ ભજવ્યો. આથી
સર્વને કાયમ યાદ રાખવા માટે બાદશાહે અમદાવાદ તેમજ અન્ય સ્થળોએ તેમના નામે પરાં
વસાવ્યાં હતાં. અમદાવાદમાં મલિક સલીમના નામ પરથી સલીમપુર, મલિક કાલુના નામ પરથી
કાલુપૂર, મલિક ઇસના નામ પરથી ઇસનપૂર, તાજખાનના નામ પરથી તાજપૂર , અમીર રામારાયના
નામ પરથી રાયપૂર અને રાયખંડ દરિયાખાનના નામ પરથી દરિયાપૂર, મલિક સારંગના નામ પરથી
સારંગપૂર વગેરે. સૂરતમાં મલિક ગોપીના નામ પરથી ગોપીપૂરા અને ગોપી તળાવ. આ બધા
દરબારીઓમાં શાહઆલમ અને મલિક ગોપી ઘણા જ મહત્વના સ્થાન પર હતાં.
સુલતાન મેહમુદ શાહ પહેલો ૨૫
મે, ૧૪૫૮ના રોજ અમદાવાદની ગાદીએ આપ્યો અને ૫૪ વર્ષ સુધી એકચક્રી શાસન કર્યું.
ગુજરાતમાં કીર્તિ અને સમૃદ્ધિનો આ સમય
હતો. ગુજરાતના મોગલ સામ્રાજ્યના ઇતિહાસમાં મહેમુદ શાહ ‘બેગડો’
સૌથી મહાન રાજવી ગણી શકાય. આ સમય જેવી સમૃદ્ધિ ગુજરાતે મુગલ સમયકાળ દરમિયાન ક્યારેય
જોઇ ન હતી. અડધી સદીનું સુખ-સમૃદ્ધિ ભર્યું સામ્રાજ્ય એ મહેમુદ શાહની ગુજરાતને
સર્વોત્તમ ભેટ હતી.
મહેમુદ શાહ
‘બેગડા’એ
ચરોતરને પણ એક મૂલ્યવાન ભેટ આપી. મહેમદાવાદ નગરની સ્થાપના અને તેને ગુજરાતની
રાજધાની બનાવવાનું કામ પણ બેગડાએ કર્યું. ઇ.સ. ૧૪૭૯માં વાત્રક નદીના કિનારે નગર
વસાવવા તેણે ચાંદા-સૂરજનો મહેલ, ભમરિયો કૂવો, વાવ, રોજા-રોજી જેવી ભવ્ય ઇમારતો અને
બગીચાઓ બનાવ્યા. ગુજરાતના સ્થાપત્યકલાના ઇતિહાસમાં મહંમદ બેગડા દ્વારા બનાવાયેલ
મહેલ, કૂવા, વાવ વગેરેની ગૌરવપૂર્વક નોંધ લેવાયી છે.
મહેમુદ બેગડાના સમયમાં ખંભાત
બંદર વાણિજ્ય વહેવારમાં ધમધમતું હતું. એની નોંધ સર્વત્ર લેવાતી હતી. દુનિયાના વિવિધ
દેશોના વહેપારીઓ વેપાર અર્થે ખંભાત આવતા અને અહીં વસવાટ પણ કરતા. એક વિદેશી મુસાફર
ડ્યુરેટ બારબોસા(Durate
Barbosa) એ મહંમદ બેગડાના સમયના ખંભાત અને તેના વેપાર-વાણિજ્ય વિશે
વિગતે લખ્યું છે.
“…In 1514 A.D. its houses were of stone and
whitewash, handsome and very lofty. The streets and squares were large and the
country rich, fertile and full of provisions. Its people, well fed and well
dressed, led easy lives, spending much of their time in pleasure and amusement.
Drawn in oxen and horse carriages lived with rich silk and stamped kid skin
mattresses, cushions and pillows, with bands of musicians playing instruments
and singing songs, festive parties were continually passing through the streets
on their way to the rich gardens, and orchards outside the city walls.
મહંમદ
બેગડાએ ખંભાતના વેપાર-વાણિજ્યના વિકાસની સાથે દરિયાઇ સુરક્ષા પણ ખૂબ સારી રીતે
જાળવી. મહંમદ બેગડાનું નૌકાસૈન્ય ખંભાતના બંદરની સુરક્ષા જાળવતું. આથી કરીને
સુરક્ષિત ખંભાતને કારણે ગુજરાતનો પણ મોભો વધેલો. ગુજરાતને દુનિયાના દેશો
–
‘the Queen of Eastern Sea’
પૂર્વીય સમુદ્રની રાણી ગણતા. આથી કરીને પાછળથી
ઇંગ્લેન્ડનાં મહારાણીએ અકબર બાદશાહને
‘ખંભાતના
રાજા’
તરીકે સંબોધેલા. ઇ.સ. ૧૪૯૮ની આસપાસ પોર્ટુગલનું નૌકાસૈન્ય ભારતીય સમુદ્રમાં
પ્રવેશ્યું. ઇ.સ. ૧૫૦૭-૦૮માં ગુજરાતના નૌકાસૈન્ય અને પોર્ટુગલના નૌકાસૈન્યના સંઘર્ષ
થવા માંડ્યા. મહંમદ બેગડા અને ઇજીપ્તના નૌકાસૈન્યોએ ભેગા મળીને પોર્ટુંગલના
નૌકાસૈન્યનો સામનો કર્યો, અને મલિક આયાઝના નેતૃત્વમાં લડાયેલ આ યુધ્ધમાં પોર્ટુગલના
સૈન્યને હારનો સામનો કરવો પડ્યો. મલિક આયાઝે ઇ.સ.૧૫૨૧માં પણ પોર્ટુગલના સૈન્યને
હરાવેલ. આ રીતે ખંભાત,દીવ અને ગુજરાતનાં બીજાં બંદરોનો વેપાર મહંમદ બેગડાના સમયમાં
સુરક્ષિત હતો. જુદાજુદાં દેશોના ૩૦૦ જેટલાં વહાણો આ સમયે ખંભાત બંદરે લાંઘરતાં. એવી
એની જાહોજલાલી હતી.
મહંમદ બેગડો એક વિશિષ્ટ રાજવી હતો. એના સમયમાં કલા અને હુન્નરને દરબારી આશ્રય
મળેલો. એનો દરબાર પ્રતિભાવંત વ્યક્તિઓથી શોભતો. એના દરબારીઓ રાજપૂત, બ્રાહ્મણ,
તુર્ક, રશીયન, આરબ અને પર્શીયન હતા. તુર્કસ્તાન, આરબસ્તાન અને ઇરાનના કવિઓ અને સંતો
તેને ત્યાં પધારતા અને તે સૌની યોગ્ય કદર થતી. સર્વ જ્ઞાતિ અને સર્વ પ્રદેશના લોકો
બેગડાના દરબારમાં અને રાજ્યમાં શાંતિથી જીવતા. તમામની શક્તિઓની કદર થતી. તમામને એની
તાકાત બતાવવાની તક મળતી. અને તેથી સર્વ ક્ષેત્રે પ્રગતિ જોવા મળતી.
|