વસ્તુપાળ (ઇ.સ. ૧૨૨૦)
ગુજરાતનો સોલંકી રાજા ભીમદેવ
બીજો અણહીલવાડની ગાદી ઉપર હતો ત્યારે ભીમદેવ બીજો અણહીલવાડની ગાદી ઉપર હતો ત્યારે
લવણપ્રસાદ નામે તેને એક પ્રધાન હતો. ઇ.સ.૧૨૨૦માં ખંભાત લાટની હદમાં હતું તે
લવણપ્રસાદે જીતી લીધું અને તેની વ્યવસ્થા કરવા દંડનાયક તરીકે તેણે વસ્તુપાળની
નિમણુંક કરી. સોલંકી રાજાઓના સમયમાં ખંભાતના મહામાત્ય તરીકે ઉદા મહેતાએ ઇતિહાસમાં
અમરત્વ પ્રાપ્ત કર્યું, તે રીતે ત્યારપછી થયેલા વાઘેલા રાજાઓના સમયમાં મહઅમાત્ય
તરીકે વસ્તુપાળ-તેજપાળે ખંભાતના અને ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકીર્તિ મેળવી છે.
વસ્તુપાળનો જન્મ પાટણ શહેરમાં પોરવાડ વંશમાં એક
ખાનદાન કુટુંબમાં થયેલ. તેના વડવાઓએ ગુજરાતના રાજાઓના સલાહકાર તરીકે મોટા મોટા
હોદ્દાઓ પર કામ કરેલ. વસ્તુપાળના પિતાનું નામ અશ્વરાજ, માતાનું નામ કુમારદેવી. તેને
તેજપાળ સહીત ત્રણ ભાઇ અને સાત બહેનો હતી. રાજ્યશાસન અને ધન બંને તેને વારસામાં
મળેલ.
ખંભાતના મહા અમાત્યની મુદ્રા
ધારણ કર્યા પછી વસ્તુપાળે સંઘપતિ બની શેત્રુંજ્યની મહાયાત્રા કરી. તેણે પોતાના
જીવનમાં એકંદરે ૧૩ યાત્રાઓ કરી હતી. આ
યાત્રાઓને કારણે તે સંઘપતિ (સંઘવી) કહેવાયો. તેણે અનેક લોકોપયોગી કામો કર્યા.
ખંભાતમાં ઉત્તર પ્રદેશથી આવતા બ્રાહ્મણોને રહેવા માટે બ્રહ્મપુરીઓ કરાવી;
હાલમાં ખંભાતમાં ચોવીસી બ્રાહ્મપોળ, સાત બ્રહ્મપોળ, મોટી ત્રણ પોળ વગેરે નામની પોળો
છે તેણે વસાવેલી. વળી લક્ષ્મીજીનું મંદિર બંધાવ્યું. બકુલાદિત્યનું મંદિર બનાવ્યું.
અનેક મંદિરોનો જીર્ણોધ્ધાર કર્યો. શૈવમઠો બંધાવ્યા અને વૈદનાથ મહાદેવનું એક નવું
શિવમંદિર બંઘાવ્યું. ભટ્ટાદિત્ય મંદિરની મૂર્તિની ઉત્તાનપીઠિકા કરાવી અને
કાળીતલાવડીના ભીમેશ્વરના મહાદેવના શિખર ઉપર સુવર્ણ કળશ તથા ધ્વજદંડ કરાવ્યો. બે લાખ
સૌનેયાનાં તોરણ ખંભાતમાં કરાવ્યાં. આદિનાથ ચૈત્યમાં સુવર્ણના નવા કુંભો કરાવ્યા.
સેંકડો જૈન ચૈત્યો કરાવ્યાં. આ ઉપરાંત જળ તથા સ્થળ માર્ગથી આવતા વહેપારીઓના સુખ
માટે દાણાનાં બે મંડપો જુદા કરાવ્યા. ગરીબ માણસોને ભોજન મળે તે માટે દાનશાળાઓ
કરાવી. સમુદ્રના પાણીમાંથી પકડવામાં આવતાં માછલાં બંધ કરાવ્યાં. આ પ્રમાણે ધનવાન
મંત્રીએ શ્રી સ્તમ્ભતીર્થમાં જિનભવનો, સંઘપૂજાઓ, કવિઓને તથા સુજ્ઞજનોને અભિષ્ટદાન
તથા પુસ્તકલેખનના સરસ્વતિ ભંડાગારો વગેરે અનેક સુકૃત્યો કર્યાં. તેણે પાંચ કરોડ
દ્રમનો ખર્ચ કરી પોતાની સમૃદ્ધિ સફળ કરી.
‘કીર્તિકોમુદી’
‘સુરથોત્સવ’નામના
ઇતિહાસગ્રંથોના કર્તા સોમેશ્વરદેવે વસ્તુપાળ-તેજપાળ માટે લખ્યું કે,
‘.....હિંદુ
સંસ્કૃતિના અસામાન્ય સંરક્ષક થઇને પણ મુસલમાનના ધર્માચરણ માટે અનેકાનેક મસ્જિદો
બંધાવી આપનારા જૈન ધર્મના પરમ ઉપાસક થઇને પણ સેંકડો શિવાલયો, સંન્યાસી-મઠો ચણાવી
આપનારા, અહિંસા પરમોધર્મના રૂઢ શ્રધ્ધાળુ થઇને પણ દેશદ્રોહી અને ધર્મદ્વેષીઓનો સફળ
ઉચ્છેદ કરાવી નાખનારા, રાજ્યલક્ષ્મીના સ્વયંવર જેવા સ્વામી બનીને પણ દાસીની જેમ
તેને તુચ્છકારી કાઢનારા, રાજા-મહારાજાના નમસ્કાર ઝીલનારા થઇને પણ ગુણવાન દરિદ્રોની
ચરણપૂજા કરનારા, કુટિલ નીતિના સૂત્રધાર થઇને પણ કવિતા અને કળાની સરિતામાં નીરંતર
ક્રીડા કરનારા અને વિદેશીઓ અને વિધર્મીઓની લક્ષ્મીને લૂંટનારા બનીને પણ દાનાર્થી
માટે ધનની નદીઓ વહેવડાવનારા એ ગુર્જર મહામાત્યોના જોડી પુરુષો ભારતના અને ખંભાતના
ઇતિહાસમાં શોધ્યા જડે એમ નથી.’ (‘જૈન
સાહિત્ય ઇતિહાસ’,પૃ.૩૦૮)
|